અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨ પર પેસેન્જરોની સુવિધા માટે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. હવે પેસેન્જરોએે ડાયનેમિક સિગ્નેચર આપવાની સાથે ઈ-ગેટમાંથી પસાર થવું પડશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદમાં આ નવી સુવિધા ૧.૨૫ કરોડના ખર્ચે શરૂ કરી છે. હાલ ઈ-ગેટની સુવિધા એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં છે. આગામી દિવસોમાં એરાઈવલ એરિયામાં પણ શરૂ કરવામાં આવશે.
ઈ-ગેટ અંગે માહિતી આપતા અમદાવાદના એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું કે, ટર્મિનલમાં ઈમિગ્રેશન પ્રક્રિયા માટે ૯ સ્ટેટ ઓફ આર્ટ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વધુમાં વિશિષ્ટ વ્યક્તિઓની સાથે વિદેશી મહેમાનો માટે અલગ, સિનિયર સિટિઝન તેમજ દર્દીઓ માટે અલગ તેમજ અન્ય લોકો માટે અલગ અલગ ઈમિગ્રેશન કાઉન્ટર મૂકવામાં આવ્યા છે. ટર્મિલનમાં આવતા પેસેન્જરોએ હવે જે તે એરલાઈન્સના કાઉન્ટર પરથી બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ નવા ઈમિગ્રેશન કાઉન્ટર પર જવાનું રહેશે જ્યાં તેમના પાસપોર્ટ અને વિઝા સ્કેન કર્યા બાદ તેમના ડાયનેમિક સાઈન લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેસેન્જરે નવા તૈયાર થયેલા અને કમ્પ્યુટર સિસ્ટમ સાથે સંલગ્ન ઈ-ગેટમાંથી પસાર થવાનું રહેશે. જો કાઉન્ટર પર કોઈ ભૂલ હશે તો પેસેન્જર ઈ-ગેટમાંથી પસાર નહીં થઈ શકે. આ નવી સિસ્ટમ શરૂ થતા હવે ઈમિગ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા કમ્પ્યુટરાઈઝ થતા કામગીરી ઝડપી થશે. અમદાવાદથી દરરોજ 6 હજારથી વધુ લોકો મિડલ ઈસ્ટ, લંડન, સિંગાપોર, થાઈલેન્ડ જાય છે.
હાલ પેસેન્જર બેગેજની સાથે હેન્ડ બેગ લઈને એરલાઈન્સના કાઉન્ટર ઉપર જાય ત્યારે બેગેજનું વજન કરાવીને ચેકિંગ બેગેજ તરીકે બેગેજ આપે છે. હેન્ડ બેગ પાસે રાખે છે. બોર્ડિંગ પાસ મળ્યા બાદ પેસેન્જર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા રહે છે. બે વર્ષથી કોઇ ઇમિગ્રેશનના ફોર્મ ભરવાની સિસ્ટમ નાબૂદ છે. આ જૂની સિસ્ટમમાં માત્ર એટલો સુધારો કરાયો છે કે, ઇમિગ્રેશનની કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ઇ-ગેટ સાથે કનેક્ટેડ કરાઈ છે. જો ઇમિગ્રેશન વિભાગની કોઈ ભૂલ સ્કેનિંગમાં કે પેસેન્જરનો ફોટો પાડવામાં થઈ હશે તો પેસેન્જર ઇ-ગેટમાંથી પસાર થઈ શકશે નહિ. ઈ-ગેટની કમ્પ્યુટરાઇઝ્ડ સ્કીનમાં એરર આવે તો પેસેન્જરે પાછા ઇમિગ્રેશન કાઉન્ટર પર જવાનું રહેશે.
ઉડતા ગુજરાતઃ હવાઈ પ્રવાસીઓ વધ્યા
ઈ ગેટ સિસ્ટમ અમદાવાદ એરપોર્ટની સુચારુ વ્યવસ્થા માટે જરૂરી પણ છે. હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ચાર વર્ષમાં ૬૦.૧૦ લાખ અને ત્રણ વર્ષમાં ૪૯.૩૦ લાખ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દર વર્ષે બજેટમાં ગુજરાત સરકાર નવી બસો ખરીદવાની જાહેરાત કરે છે, પણ હકીકતમાં છેલ્લા ચાર વર્ષમાં એસટી નિગમના રસ્તા ઉપર ફરતા વાહનોમાં માત્ર ૩૧૨નો જ વધારો થયો છે. સરકારની નાગરિક પરિવહન સેવા એસટી બસના મુસાફરોમાં ચાર વર્ષમાં ૫૮,૦૦૦ અને ત્રણ વર્ષમાં ૧.૨૩ લાખનો ઘટાડો નોંધાયો છે જ્યારે ગુજરાતમાં ઉડ્ડયનક્ષેત્રે ફ્લાઇટ ટ્રિપની સંખ્યામાં ૪૧ હજારનો વધારો નોંધાયો છે.